નવી દિલ્હી, તા. ૧૯
ચાલુ અઠવાડિયામાં ગમે ત્યારે મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે સતત બીજી વખત પોતાનો કાર્યભાર સંભાળશે તે સાથે જ ભારતને વીસ વર્ષમાં દસમી મોરચા સરકાર મળશે. મોરચા રસકારો લોકશાહી માટે આદર્શ છે કે નહીં તેનો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભારતના નસીબમાં છેલ્લાં વીસ વર્ષથી મોરચા સરકારો જ લખાતી આવી છે. મોરચા સરકારની શરૃઆત ૧૯૮૯માં થઈ હતી. ૧૯૮૯ સુધી દેશમાં કોંગ્રેસની એકલે હાથે રચાતી સરકારો આવતી હતી. માત્ર ૧૯૭૭થી ૧૯૭૯ દરમિયાન જનતા સરકારનો પ્રયોગ થયો હતો.
૧૯૮૯માં પ્રથમ વખત એવું બન્યું કે રાજીવગાંધીની કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી લીધી છતાં વિરોધ પક્ષે બેસવાનું નક્કી કર્યું અને વિરોધપક્ષોના મોરચાએ જનતા દળના નામે ભાજપ અને ડાબેરીઓની મદદથી સરકાર રચી હતી.
જનતા દળની સરકાર ૧૯૯૦માં લઘુમતીમાં આવી જતાં જનતા દળના વિખૂટા પડેલા જૂથને કોંગ્રેસે ટેકો આપીને ચંદ્રશેખરના નેતૃત્વની સરકાર બનાવી હતી. એ મોરચો પણ ટૂંક સમયમાં પડી ભાંગ્યો હતો.
૨૧ મે ૧૯૯૧ના દિવસે રાજીવ ગાંધીની હત્યા થતાં કોંગ્રેસે ૨૧૩ બેઠકો મેળવી હતી. ત્યારે અન્ય પક્ષોનો ટેકો મેળવીને પી વી નરસિંહરાવના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી. આ સરકારે પાંચ વર્ષ પૂરાં કર્યા અને ભારતને આર્થિક સુધારાના પાટે ચઢાવ્યું હતું. ત્યાંથી મોરચા સરકાર સ્થિર રહી શકે તેનો દાખલો બેઠો હતો.
૧૯૯૬માં ભાજપે સૌથી વધુ બેઠકો મેળવી સરકાર બનાવવા દાવો કર્યો અને વાજપેયી વડાપ્રધાન બન્યા હતા. ૧૩ દિવસની મથામણ છતાં અન્ય પક્ષોનો ટેકો ન મળતાં તે સરકાર બનતાં અગાઉ જ તૂટી ગઈ.
૧૯૯૭માં ફરીથી કોઈ પક્ષની સ્પષ્ટ બહુમતી ન થતાં દેશને વધુ એક ચૂંટણીથી બચાવવા માટે જનતા દળના એચ ડી દેવગૌડાના નેતૃત્વમાં યુનાઈટેડ ફ્રન્ટની સરકાર રચાઈ હતી. માર્ચ ૧૯૯૭માં કોંગ્રેસે ટેકો પાછો ખેંચતાં એ સરકારનો અંત આવ્યો હતો.
૧૬ પક્ષોના મોરચાની સરકાર યુનાઈટેડ ફ્રન્ટના જ નામે ફરી રચાઈ. તેના વડાપ્રધાન ચંદ્રશેખર બન્યા હતા. નવેમ્બર ૧૯૯૭માં કોંગ્રેસે ફરી ટેકો પાછો ખેંચતાં તેનો અંત આવ્યો હતો.
૨૦ માર્ચ ૧૯૯૮માં બાજપાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી. એ સરકારે શ્રેણીબધ્ધ અણુધડાકા કર્યા હતા. એપ્રિલ ૧૯૯૯માં એઆઈડીએમકેએ ટેકો પાછો ખેંચતાં ભાજપના નેતૃત્વની મોરચા સરકાર તૂટી પડી હતી.
૧૯૯૯ની ચૂંટણી પછી ફરીથી ભાજપ સૌથી વધુ બેઠકો મેળવનાર પક્ષ બન્યો અને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના નામે મોરચા સરકાર બનાવી હતી. આ સરકારે પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી હતી.
૨૦૦૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ બેઠકો મેળવનાર પક્ષ બન્યો હતો અને અન્ય પક્ષો સાથે મળીને યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સના નામે મોરચા સરકારની રચના કરી હતી. એ સરકારે પણ પાંચ વર્ષની મુદ્દત પુરી કરી છે.
૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી સોથી વધુ બેઠકો મેળવનાર પક્ષ બન્યો છે. અને ફરીથી અન્ય પક્ષોના ટેકાથી યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકાર બનાવવા જઈ રહ્યો છે.