નવી દિલ્હી, તા. ૨૮
નવી સરકારનું રેલવે બજેટ જુલાઈના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવામાં આવશે અને તેમાં રેલવેના વ્યવસાયિક અને માનવીય બંને પાસાંઓનું સમતોલન સાધવામાં આવશે તેમ રેલવે પ્રધાન મમતા બેનરજીએ રેલભવનમાં કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલ તેઓ અધિકારીઓને મળીને તાગ લઈ રહ્યાં છે, નાણાકીય વિગતો તપાસી રહ્યા છે. તે પછી જ ૯૦,૦૦૦ કરોડની બચતનો ખ્યાલ આવશે. છઠ્ઠા પગારપંચના અમલથી ૧૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ પડશે.
પોતાના કાર્યાલયમાં પ્રથમ દિવસનું કાર્ય સંપન્ન થયા પછી પત્રકારો સાથે વાત કરતાં મમતાએ જણાવ્યું હતું કે રેલવેના બે પાસાં છે.વ્યવસાયિક અને માનવીય, અમે બંને પાસાંઓની સમતુલા જાળવવા પ્રયાસ કરીશું. મમતાએ એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓ દિલ્હી કરતાં વધુ સમય પોતાના રાજ્યમાં ગાળશે જેથી ત્યાંથી રેલવે વિભાગનું વધુ કામ કરી શકે. તેમણે જણાવ્યું હતું કે રેલવેનું કામ કરવા માટે દિલ્હી રહેવાની જરૃર નથી.
બજેટ અંગે મમતાએ કહ્યું હતું કે તેઓ અધિકારીઓને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. લાલુપ્રસાદે રેલવે પાસે પાંચ વર્ષમાં ૯૦,૦૦૦ કરોડ બચત થઈ હોવાનું કહ્યું હતું તે અંગે પત્રકારોએ મમતાનો અભિપ્રાય પૂછતાં તેમણેે કહ્યું હતું કે લાલુજી માટે પૂરેપુરુંં માન છે. નાણાકીય વિગતો જોયા વિના કશું કહી ન શકાય.
છઠ્ઠા પગારપંચની ચુકવણી અંગે મમતાએ જણાવ્યું કે એના પરિણામે ૧૪,૦૦૦ કરોડનું વધારાનું વજન પડશે અને એ રકમ આંતરિક સ્ત્રોતોમાંથી જ મેળવાશે.
પોતાની કામગીરીની રૃપરેખા આપતાં મમતાએ કહ્યું હતું કે પ્રથમ ટર્મમાં તેમણે જ કોમ્પ્યુટરાઈઝેશન અને મુસાફર સેવાઓના સુધારાની શરૃઆત કરી હતી. આ વખતે પણ મુસાફરોની સુખસગવડ, સલામતીને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે સાથે જ રેલવેની આવક વધારવાના પ્રયાસો હાથ ધરાશે.
ગરીબોના માસિક પાસ અંગે મમતાએ જણાવ્યું હતું કે પાસની યોજના એવા ગરીબો માટે છે જેઓ પાસે રેલવેમાં મુસાફરી કરવાના પેસા જ નથી. તેમને નહિવત્ પૈસે રેલવેમાં મુસાફરી કરવાની સગવડ આપી છે. નાગરિકોને ખાતરી કરાવવાની જરૃર છે કે રેલવે બધાની સેવામાં છે, ઉદ્યોગોની જેમ સામાન્ય નાગરિકો અને ગરીબો માટે પણ રેલવેની સુવિધા ઉપલબ્ધ છે.