લંડન, તા. ૨૨
હિન્દુ દેવી- દેવતાઓનાં નગ્ન ચિત્રો દોર્યા બાદ લોકોના ભારે વિરોધને કારણે જાતે જ દેશવટો ભોગવી રહેલાં ભારતના જાણીતા વિવાદાસ્પદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસેન સ્વદેશ પરત આવી રહ્યા છે. લોકોએ તેમની સામે અશ્લીલતાનો આરોપ મૂક્યો હતો.
એક સમાચારપત્રને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ભારત મારું ઘર છે. હવે અહીં મારુ કામ પૂરું થાય પછી હું ભારત આવી જઇશ. મને ત્યાં જતાં કોઇ ન અટકાવી શકે.
હાલમાં તેઓ લંડનમાં ‘ભારતીય નાગરિકરણ’ની થીમ પર આધારિત કેટલાંક ચિત્રો દોરી રહ્યા છે. હુસેન ઘણા વખત પછી ભારતના ૧૯મી સદીના ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા યોજવામાં આવેલા પ્રિન્ટોના એક પ્રદર્શન સમારોહમાં પ્રથમ દિવસે હાજર રહ્યા હતા.
તેઓ દુબઇ અને લંડનમાં ચિત્રકારી કરી રહ્યા છે. મેમાં દિલ્હીના હાઇકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપી તેમના વિરોધ કરનારાઓની આકરી ટીકા કરી હતી. જેના સંદર્ભમાં તેઓ ભારત પરત આવી રહ્યા છે. ૭૪ પાનાંના ચુકાદામાં ન્યાયર્મૂિત સંજય કિશન કોલે જણાવ્યું હતું કે એક ચિત્રકાર તમામ બાબતોેને તેમના દૃષ્ટિકોણથી જોઇ શકે છે અને તેને તેમની સામે ફોજદારી કાર્યવાહીઓ શરૃ કરવાનો આધાર ન બનાવી શકાય.
ભારતમાં સાંસ્કૃતિક શુદ્ધતાના નામે એક નવો શુદ્ધતાવાદ હાથ ધરવામાં આવે છે તેમ જ કેટલાક અજ્ઞાની લોકો કળાને નાશ કરવાની વિનાશક પ્રવૃત્તિ હાથ ધરી રહ્યા છે અને દેશને પ્રાચીનકાળમાં લઇ જઇ રહ્યા છે.