નવી દિલ્હી, તા. ૧૧
દારૂના ગેરકાયેદસર ઉત્પાદન અને વેચાણને અટકાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આરોપ કરતાં યુનાઇટેડ બ્રિવરીઝ જૂથના ચેરમેન વિજય માલ્યાએ આજે દેખીતી રીતે રાજ્ય સરકારને આલ્કોહોલિક બ્રાન્ડ્સ બનાવવા અને તેના વેચાણ પરનો પ્રતિબંધ ઉઠાવવાની માગણી કરી હતી.
તાજેતરમાં ગુજરાતમાં ૧૫૦થી વધુ માણસોને ભરખી ગયેલા લઠ્ઠાકાંડને પગલે માલ્યાએ આ નિવેદનો કર્યા હતા. જોકે ગુજરાત સરકારે પણ તેના તીવ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા.
માલ્યાએ કહ્યું હતું કે, રાજ્યમાં દારૂ પરના પ્રતિબંધની સરકારની નીતિ એકદમ બિનઅસરકારક રહી હતી. તેઓ ગેરકાયેદસર, બિનઆરોગ્યપ્રદ અને પ્રાણઘાતક દારૂનું વેચાણ અટકાવવામાં સાવ નિષ્ફળ રહ્યા છે. રાજ્યમાં આટલા મોટા પાયે લોકોનું મોત હવે રાજકીય દંભીઓ માટે આંખ ઉઘાડનારી ઘટના છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, "મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે કે ગુજરાતમાં પાડોશી દેશોની સરખામણીએ બમણાં કે ત્રણ ગણાં ભાવે કરેદ બ્રાન્ડનો દારૂ મળી રહે છે. આનો મતલબ એમ થયો કે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની મહેસૂલ આવક ગુમાવી રહી છે."
રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે તેમના આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે તેમણે ખોટા સમયે આ નિવેદનો આપ્યા છે.
માલ્યાએ એક રાજ્ય સરકાર સાથે મળીને એક "જવાબદાર પીણાં વપરાશ નીતિ" દાખલ કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મુક્ત વિશ્વમાં સંપૂર્ણ પ્રતિબંધ ક્યારેય પણ અસરકારક નહિ નીવડી શકે.