- 4 વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ થયો છતાં રહેતા હતા, ત્રણનો હવે પૂરો થશે
- એક્સ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોવાની વિગતો જણાતા નિર્ણય લેવાયો
- વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં તાજેતરમાં નમાજ પઢવા મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાની ઘટનાના પ્રત્યાઘાત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડયાં હતા. એ પછી યુનિવર્સિટી દ્વારા ગેરકાયદે એટલે કે, અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય તેવા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સાત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા માટે સુચના અપાઈ છે. સાત પૈકી ચાર વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓનો અભ્યાસ થોડા સમયમાં પૂર્ણ થવાનો છે. ગત 16મી માર્ચના રોજ યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે નમાજ પઢવા મુદ્દે ઘર્ષણ થયુ હતુ. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવા સાથે હોસ્ટેલમાં ભારે તોડફોડ પણ કરાઈ હતી. જેના પ્રત્યાઘાત રૂપે અફઘાન અને ગામ્બિયાનું ડેલિગેશન યુનિ.માં આવી પહાંચ્યું હતુ. એ પછી યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય છતાં હોસ્ટેલમાં રહેતા હોય તેવા ભારત સહિત વિદેશના વિદ્યાર્થીઓની વિગતો એકત્ર કરવામાં આવી હતી. જેમાં અફઘાનના ચાર વિદ્યાર્થી એવા હતા કે જેઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયેલો છે જ્યારે ત્રણ વિદ્યાર્થીનો અભ્યાસ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. જેથી આ વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડી પોતાના દેશ જવા માટે સૂચના આપવામાં આવી છે. સુત્રો પાસેથી એવી પણ વિગતો જાણવા મળી છે કે, અફઘાન વિદ્યાર્થીઓને થોડો સમય રહેવા દેવા અફઘાનિસ્તારનના કોન્સ્યુલર જનરલ ઝાકિયા વર્દિકે રજૂઆત પણ કરી હતી.










