- ફરિયાદી પાસે 50 લાખની માંગી હતી લાંચ
- અંતે 21 લાખ આપવાના થયા હતા નક્કી
- પ્રથમ હપ્તા પેટે 2 લાખ આપવાના થયા હતા નક્કી
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા લાંચ લેતા અધિકારીઓ પર તવાઈ આવી છે. અમદાવાદમાં સાપ્તાહિક સમાચાર પત્રના બે તંત્રીઓ કિરણસિંહ ચંપાવત અને નિતેષ ટેકવાની ધરપકડ કરાઈ છે. આ મામલે કિરણસિંહ ચંપાવત અને નિતેષ ટેકવાએ મોબાઈલ દુકાનમાં SGSTના અધિકારીઓને નામે રેડ પાડી હતી અને દુકાન માલિક પાસેથી લાંચ માગી હતી. કેસની માંડવળ માટે 21 લાખમાં નક્કી થયું હતું.
તેમજ મોબાઈલ દુકાન માલિક દ્વારા એસીબીને જાણ કરી દેવામાં આવતાં તેમને ઝડપી લેવા માટે છટકું ગોઠવાયું હતું જે હેઠળ શનિવારે એસીબીના અધિકારીઓએ ઈન્દીરાબ્રીજ સર્કલ નજીક આરોપી તંત્રીઓને 2 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યાં હતા અને પોતાની કસ્ટડીમાં લીધાં હતા.
આ અંગેની માહિતી અનુસાર, જેમાં ફરિયાદીના ભાઈ મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 4 થી 5 મહિના અગાઉ SGST એ રેડ પાડી હતી અને આ કેસમાં ફરિયાદીને મદદ કરવા અને જનસહાયક સમાચાર સાપ્તાહિકના તંત્રી કિરણસિંહ વી.ચંપાવતે 50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
પરંતુ રકઝક કરતાં સોદો 21 લાખમાં પાર પડ્યો હતો. જે અનુસાર પહેલો બે લાખનો હપ્તો આજે ચુકવવાનું નક્કી થતાં આરોપીઓ પૈસા લેવા ઈન્દીરા સર્કલ પહોંચ્યાં હતા અને આ દરમિયાન પહેલેથી ત્યાં છુપાયેલા એસીબીના અધિકારીઓએ તેમને ઝડપી લીધાં હતા.
જેમાં આરોપી કિરણસિંહ જનસહાયક નામના સમાચાર પત્રના તંત્રી છે. જનસહાયક અમદાવાદમાંથી દર ગુરુવાર પ્રસિદ્ધ થતું સાપ્તાહિક છે. પોલીસે બન્ને વિરૃધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.









